અમેરિકાની કૉલેજનો એક વિદ્યાર્થી, નામ નેપોલિયન હિલ. તે કોઈક કારણસર જગતના તે સમયના સૌથી ધનાઢ્ય માણસને મળ્યો. બંને વચ્ચે સારી પેઠે વિચારોની આપલે થઈ. બાદ કાર્નેગીસાહેબને એક તુક્કો સૂઝ્યો. તેમણે હિલને કહ્યું : ‘તું એક કામ કર. જે જે માણસોએ પુરુષાર્થને બળે સંપત્તિ હાંસલ કરી છે તેમને તું મળ. તેમના ઇન્ટરવ્યૂ લે અને તે પરથી એક પુસ્તક તૈયાર કર. વિષય: માણસ શ્રીમંત કઈ રીતે થઈ શકે ? નેપોલિયન હિલે, પોતાના લાંબા અને ઊંડાણભર્યા અભ્યાસ બાદ એક તારણ કાઢ્યું: “માણસના વિચારો જ તેનાં કૃત્યોની દિશા નક્કી કરી આપે છે.” તમે ગરીબીના વિચારોને મનમાં ઘૂમવાની રજા આપો તો નિર્ધન જ રહેશો. સમૃદ્ધિ અને સંપત્તિના વિચારોને મનમાં વસાવો તો તમે એ પ્રકારે પરિણામ હાંસલ કરી શકો.
નેપોલિયન હિલે એક સચોટ સત્ય ખોળી કાઢ્યું ખરું, પણ તેના ટેકામાં માનસશાસ્ત્રનાં સંશોધનોનો જેટલો ટેકો લેવો જોઈએ તે લીધો નહોતો. એનું કારણ દેખીતું છે. તેમણે પોતાનાં પુસ્તકોની રચના કરી ત્યાર બાદ માનસશાસ્ત્રે ઘણી મોટી હરણફાળ ભરી છે.
છેલ્લાં કેટલાંક વરસથી મારા પર કોઈ કોઈ વાચકમિત્રોના પત્રો આવતા હતા. તેમના લખાણનો સૂર આવો કંઈક હતો: ‘તમે સફળતા વિષે ઠીક ઠીક પુસ્તકો લખ્યાં છે… પણ આર્થિક સફળતાને અનુલક્ષીને કેમ કંઈ લખતા નથી ?
આ વિનંતી પર વિચાર કરતાં મને થયું કે નેપોલિયન હિલ કે ડેલ કાર્નેગીનાં પુસ્તકો અમેરિકન સમાજને લક્ષમાં લઈને તૈયાર થયાં છે. તો આપણા દેશની ભૂમિકાને જ લક્ષમાં લઈને એવો પ્રયાસ થાય તો કેમ ? અને તેની સાથે અદ્યતન માનસશાસ્ત્રનો જે લાભ આપવાનું જે અન્ય પુસ્તકોમાં શક્ય બન્યું નથી, તો તે ખાધ દૂર કરી શકાય તો કેમ ? આ બંને મુદ્દાઓને અનુલક્ષી મારા પ્રયત્નો આદર્યા. તેની નિષ્પત્તિરૂપે આ ગ્રંથ ‘કોઠાસૂઝ કેળવો ધનકુબેરની’—તમારા હાથમાં આવે છે.
