રાજેન્દ્ર શાહ (૧૯૧૩-૨૦૧૦) ઉમાશંકર – સુન્દરમની પેઢીના કવિ છે. પરંતુ એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’(૧૯૫૧)ની રચનાઓ જોતાં તેમને અનુ-ગાંધીયુગના કવિ ગણવા જોઈએ. ‘ધ્વનિ’થી શરૂ થયેલી તેમની સર્જનયાત્રા હવે સાત દાયકાની થઈ. ૧૯૮૩ સુધીનાં તેમનાં કાવ્યોનો એક સંચય ‘સકલ કવિતા’ નામે અગાઉ પ્રકાશિત થયો છે. પ્રકૃતિ, પ્રણય, અધ્યાત્મ, ચિંતન વગેરે ભાવો એમનાં કાવ્યોમાં વિષય બનીને આવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ ગીતો, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટો, અછાંદસ કાવ્યો, સંવાદકાવ્યો વગેરે જોવા મળે છે. રાજેન્દ્ર શાહનાં ગીતોએ એના અભિનવ ઉપાડને લીધે, મંજુલ પદાવલિને લીધે, ઊછળતા લયહિલ્લોળને લીધે, મૌલિક કલ્પનાશક્તિને લીધે, રાજસ્થાની – બંગાળી – વ્રજ -સંસ્કૃત ઉપરાંત તળપદા શબ્દો – શબ્દપ્રયોગોની શિષ્ટતા અને મધુરતાને લીધે આગવી છાપ ઊભી કરી છે; તો એમનાં સૉનેટોમાં સફાઈદાર છંદો, છંદોની પ્રયોગશીલતા, પંક્તિવિભાજન અને પ્રાસયોજનાનું ઔચિત્ય વગેરે એમની કવિતાને ચુસ્તતા અર્પે છે. કવિનું સૌંદર્યરાગી વલણ સૌષ્ઠવનિષ્ઠ કવિને શોભે એવું છે. જીવન પ્રત્યેની એમની સંવાદી દૃષ્ટિ કાવ્યોમાં પ્રસન્ન ભાવચિત્રો આલેખવામાં સફળ નીવડી છે. આપણી ભાષાના આ પ્રજ્ઞાવાન મનીષીને તેમની સમગ્ર કાવ્યસર્જનપ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૦૨નું ‘ભારતીય જ્ઞાનપીઠ’નું સર્વોચ્ચ પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. ગુજરાતના અગ્રણી સર્જકકવિના આ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ના પુનઃપ્રકાશનને આવકારતાં આનંદ થાય છે.
– ડૉ. રમેશ એમ. ત્રિવેદી

Reviews
There are no reviews yet.