આ પુસ્તકમાં દસ વાર્તાઓનો સમાવેશ થાય છે, જેમાં સ્ત્રીઓના વિવિધ પાસાંઓ – તેમની સમસ્યાઓ, સંવેદનાઓ, સંઘર્ષો અને તેમના પર થતા અત્યાચારો – ને સર્જકોએ ગહનતાથી રજૂ કર્યા છે. આ વાર્તાઓ વાંચતી વખતે આપણા મનમાં માનવીય સંવેદનો જાગૃત થાય, સ્ત્રીને એક વ્યક્તિ તરીકે ઓળખી તેના સમર્પણની કદર થાય અને સમાજમાં સમાનતાનો ભાવ પેદા થાય, તો જ ખરા અર્થમાં આ વાર્તાઓ અને સર્જકની સૃજનશક્તિ સાર્થક થશે.
અનુઆધુનિક વાર્તામાં આપણને નારીકેન્દ્રી વાર્તાઓના ઉત્તમ નમૂના જોવા મળે છે. ખાસ કરીને, સ્ત્રી વાર્તાકારોએ નારીકેન્દ્રી વાર્તાઓ લખવામાં વિશેષ ધ્યાન ખેંચ્યું છે. હિમાંશી શેલત, વર્ષા અડાલજા, અંજલિ ખાંડવાળા, પારુલ કંદર્પ દેસાઇ, સરોજ પાઠક, ધીરુબહેન પટેલ, બિન્દુ ભટ્ટ, પારુલ બારોટ, પન્ના ત્રિવેદી, લતા હિરાણી અને ગિરિમા ઘારેખાન જેવી અનેક સ્ત્રી વાર્તાકારોએ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અનુઆધુનિક વાર્તાના એક મહત્વપૂર્ણ પાસાં તરીકે, નારીકેન્દ્રી વાર્તાઓએ સર્જનાત્મક સ્તરે નવીન અને અનોખા પરિમાણો સિદ્ધ કરીને એક મોટી છલાંગ ભરી છે.
