‘અશ્રુઘર’ને મુકાબલે ‘ઝંઝા’માં રાવજી પટેલનો વિકાસ સ્પષ્ટ છે. ‘ઝંઝા’માં રાવજી પટેલની કવિતાને કથા મળી છે અથવા એની કથાને કવિતા. બંને અલગ રીતે અહીં ચાલતાં નથી, એકબીજામાં ભળીને, એકરસ થઈને ચાલે છે. જોકે એમાં કવિતાની તાકાત કથા કરતાં, પાત્રગત ભાવસંવેદનની તાકાત કથાત્મક ઘટનાઓ કરતાં સવિશેષ પ્રભાવક લાગે છે. એ રીતે રાવજી પટેલનું ઉત્કૃષ્ટ ભાષાકર્મ તથા પાત્રસંવેદન મર્મસ્પર્શી છે, એમાં ઊછળતી સર્જકતાનો સ્ફૂર્તિરસ અવારનવાર અનુભવાય છે. એક સારી નવલકથા લખવાના સાચી દિશાના પ્રયત્ન તરીકે આ કૃતિનું મહત્ત્વ છે જ. રાવજી પટેલને કવિતા લોહીમાં હતી, તો નવલકથા આંખમાં-નજરમાં હતી એમ આપણે કહી શકીએ. ‘માનવીની ભવાઈવાળા પન્નાલાલ પટેલનો રસ્તો ‘પ્રવૃત્તિની ભવાઈ’ જોઈ શકનારા રાવજી પટેલનેય માફક આવત એમ આ ‘ઝંઝા’ જોતાં લાગે છે. આ નવલકથા એના એક ઉજ્વલ હૃદય—સંકેતરૂપ છે.
– ચંદ્રકાન્ત શેઠ
