‘શૂન્ય’ પાસે પોતાની જ એક શૈલી છે, જે ગુજરાતી ગઝલકારોમાં એમની એક નિરાળી જ ભાત પાડે છે; અને જે ઉર્દૂ શૈલીના ગઝલકારોમાં જોડાઈ શકે એ જાતની છે. ‘શૂન્ય’ની શૈલીની વિશિષ્ટતા એ છે કે ઉર્દૂ રીતિના ગઝલ પ્રકાર અને ગઝલપ્રણાલીનું, એનાં રૂપરંગનું સાંગોપાંગ આયોજન જાળવીને, એનું શુદ્ધ ગુજરાતીકરણ એમણે કર્યું છે. ઉર્દૂ રીતિની ગઝલના અંતરંગનું શુદ્ધ ગુજરાતી ભાષાના શબ્દોમાં પોતાનું આગવું અવતરણ કરી વિચારભાવની પોતાની મૌલિક અભિવ્યક્તિની કલા સાધનાર “શૂન્ય’ની સાધના સિદ્ધિ પર પહોંચી હોવા છતાં એમનું સાધ્ય એક બીજી બાબત પણ છે કે જે બાબત ગુજરાતના બહુ જ ઓછા ગઝલકારોમાં છે. મારામાં તો નથી જ અને તે જ છે ‘શૂન્યનું ગઝલ વિશેનું સર્જનાત્મક જ્ઞાન સાથેનું શાસ્ત્રીય જ્ઞાન.
બરકત વીરાણી ‘બેફામ’
(‘શૂન્યના અવશેષ’માંથી સાભાર)
