અલગારી અતીતની અક્ષર-ગઠરી
‘ઇલાકાવ્યો’ના કવિ અને ‘આગગાડી’ના નાટ્યપ્રણેતા ચંદ્રવદન ચી. મહેતા — આપણા સ્નેહાદરભર્યા ‘ચં.ચી.’ — નું ગદ્યસ્વામી તરીકેનું પ્રદાન ‘ગઠરિયાં’ શ્રેણીમાં ચરમસીમાએ પહોંચે છે. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’ના ગોત્રની આ સંસ્મરણકથા લેખકના અલગારી અતીતની અક્ષર-ગઠરી છે. પ્રસ્તુત પુસ્તક ‘બાંધ ગઠરિયાં’ (વિદ્યાર્થી આવૃત્તિ) દસ-બાર ભાગોમાં વિસ્તરેલી આ સૃષ્ટિમાંથી ખુદ લેખકના હાથે જ સંક્ષિપ્ત થયેલો ચૂંટેલા તેર મધુર નિબંધોનો સંચય છે.
આયુષ્યની પહેલી પચીસીના લગભગ ચાર દાયકાના દીર્ધ જીવનપટને આવરી લેતા આ સંસ્મરણોમાં ચં.ચી.ના બહુરંગી વ્યક્તિત્વનું તરવરતું ચિત્ર છે. અહીં વડોદરાના રેલવેના કારખાના સાથે સંકળાયેલું બાળપણ, તો સુરતમાં ગણિતના પાપે પાંચમી ચોપડીમાં ‘નાપાસ’ થતાં મામાએ કાઢેલો શરમભરેલો ‘વરઘોડો’ અને ખટમીઠો અભ્યાસકાળ આલેખાયો છે. સાથોસાથ, ધમધમતી મુંબઈ નગરીમાં ઉચ્ચ શિક્ષણ, વિલ્સન કૉલેજનો કૉલેજકાળ, ગણિતથી મુક્તિ અને નાટકની દુનિયામાં મક્કમ પ્રવેશ કરતી યુવાનીની છબી સુપેરે ઝિલાઈ છે.
‘ચં.ચી.’ના ગદ્યની તો મોહિની જ કંઈક ઓર છે! ખળખળ વહેતી નદીના પ્રવાહ જેવી અસ્ખલિત વાણી, ચોક્કસ પદવિન્યાસ અને ગદ્યનો વિશિષ્ટ લય વાચકને અચૂક આકર્ષે છે. સીમાચિહ્નરૂપ સાહિત્યિક વારસો બની રહેલ આ પુસ્તક તરુણો અને યુવાનો માટે મબલખ અનુભવ-મૂડી બની રહે તેમ છે. અતીતના પટ પર પથરાયેલી આ અક્ષર-ગઠરી, ખરેખર તો આપણી સાહિત્યિક થાપણ છે.

Reviews
There are no reviews yet.