ભજવવા લાયક નાટકોની સર્વાંગીણ સૂચિ
જ્યારે જ્યારે પણ કોઈ સ્પર્ધામાં કે પછી કોઈ મેળાવડામાં અથવા તો કોઈ સંસ્થાના વાર્ષિક ઉત્સવમાં નાના મોટાં નાટકો ભજવવાનાં આવે ત્યારે નવોદિત હોય કે નિવડેલા બધા રંગકર્મીઓને મૂંઝવતો જો કોઈ પ્રશ્ન હોય તો તે છે તખ્તાલાયક અને અભિનયક્ષમ નાટક ક્યાંથી લાવવું? એનો ઉકેલ છે, અભિનેય નાટકોની આ સર્વાંગીણ સૂચિ. જેમાં સન 1957થી 1975ના ગાળા દરમિયાન પ્રકાશિત 1029 જેટલી ગુજરાતી નાટ્યકૃતિઓની બધી વિગતો સામેલ છે. જેમ કે નાટકના લેખક, પ્રકાશક, પૃષ્ઠ સંખ્યા, નાટકનો પ્રકાર, તેનું કથાવસ્તુ, સ્ત્રી-પુરુષ પાત્રોની સંખ્યા, સૂચિત સન્નિવેશ, નાટકના અંક અને દૃશ્યોની સંખ્યા, નાટક મૌલિક છે કે રૂપાંતરિત તે વિશેની વિશેષ નોંધ… ટૂંકમાં નાટક પસંદ કરવાથી માંડી તેને સરળતાથી ભજવવા માટે આવશ્યક સઘળી માહિતી. સન 1958માં આદરણીય ધીરુભાઈ ઠાકર દ્વારા પ્રકાશિત ‘અભિનેય નાટકોની સૂચિ’ની પરંપરાનું આ પુસ્તક પ્રગટ કરવા બદલ લેખિકા ડૉ. કપિલા પટેલ અઢળક અભિનંદનના અધિકારી છે.
– મહેશ ચંપકલાલ
